



ચેરમેન અશોક ચૌધરી એ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ
વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું
મહેસાણાની જાણીતી દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગમાં આજે મોટો હોબાળો થયો હતો. ડેરીના ચેરમેન અશોક ચૌધરી પર વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો મારવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક માહિતી અનુસાર, બોર્ડ મીટિંગ દરમિયાન કોઈ પ્રશ્ન પૂછવા મુદ્દે ચેરમેન અશોક ચૌધરી ઉશ્કેરાયા હતા અને તેમણે વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો માર્યો હોવાનો આરોપ યોગેશ પટેલે લગાવ્યો છે. યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ.કે. પટેલ પણ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જે દર્શાવે છે કે આ મુદ્દે ડેરીના બોર્ડમાં બે જૂથો વચ્ચે તણાવ પ્રવર્તી રહ્યો છે.નોંધનીય છે કે ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ બંને ભાજપના મેન્ડેટથી આ પદ પર બિરાજમાન છે, ત્યારે આ ઘટના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બની છે. પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરશે અને આગળની કાર્યવાહી કરશે.